મંગળવાર, 12 જુલાઈ, 2016

રાવણ સીતા માટે ખુવાર થયો, રામ તો ‘મહારાણી’ માટે લડ્યા!

બગાવત

 મેં તો સતીત્વની પરીક્ષા આપી, તમે પતિત્વની પરીક્ષા ક્યારે આપશો?

સીતા અનોખી છે, એના જેવું પાત્ર એક જ હોય શકે. કદાચ એક કરતાં વધુ રામ જન્મ લેશે પણ સીતા તો એક અને માત્ર એક જ રહેશે.
-સ્વામી વિવેકાનંદ

 રામે સીતાને અગ્નિ પરીક્ષા આપવા કહ્યું અને એણે અગ્નિ પરીક્ષા આપી પણ ખરી, પણ જો-સીતા આજની યુવતી હોત તો એણે રામને કંઇ જુદું જ કહ્યું હોત..!

દિવસે લંકામાં બે ચિતાઓ સળગી હતી, એક પર રાવણનું શરીર સળગતું હતું અને બીજી પર સીતાનો આત્મા સળગી રહ્યો હતો. બંનેનો દાહ કંઇ જુદો જ હતો. અગ્નિ રાવણનાં આત્માને અને સીતાનાં શરીરને સ્પર્શી શકતો નહોતો. બંને ચિતાઓ સળગાવવા માટે એક જ વ્યક્તિ જવાબદાર હતો અને એ હતો અયોધ્યાનો રાજકુમાર શ્રીરામ. ચારિત્ર્યની પરીક્ષાનાં નામે પત્નીને સળગતી ચિતા પર જવા મજબૂર કરનાર આવો રાજવી ભારતવર્ષમાં કયારેય થયો ન્હોતો અને થવાનો નહોતો. સૌ એની પ્રશંસા કરી રહ્યાં હતાં ને સીતા એને સવાલો પૂછી રહી હતી. ચિતા પર ઉભી થઇને એકટક રામ સામે જોતી જનક રાજાની એ લાડકી પુત્રીનાં શબ્દો મૌન સવાલો કરી રહ્યાં હતા. ‘મારા રામ, હું તો આ ચિતામાંથી બહાર આવી જઇશ પણ તમે જીંદગીભર સળગ્યા કરશો. મને લાગે છે કે, આજે જો રાવણ જીત્યો હોત તો મારે અગ્નિ પરીક્ષા નહીં આપવી પડી હોત. ચૌદ વર્ષનો વનવાસ તમારી સાથે મેં ગુજાર્યો અને તમે માની બેઠા કે અશોક વાટિકામાં મને લાંછન લાગ્યું. મારા રામ, તમે અયોધ્યાનું સિંહાસન ભૂલાવી ન શક્યા અને મને સોનાની લંકા ચળાવી ન શકી.
સતીત્વને તમે શું સમજો? મંદોદરીને વિભિષણ સાથે પરણાવી અને તારાને સુગ્રીવ સાથે પરણાવી. તમારી મરજી પડે ત્યારે અને તમે કહો એ પુરૂષને પરણે એ સ્ત્રી સતી? રાવણની ચિતા ઠરી નથી અને મંદાદરીનાં આંસુ સૂકાયા નથી. વિભિષણને ઇનામ આપવામાં થોડું મોડું તો કરવું તું..તમે જ એવું કહેતાં હતા કે મરીચે કુટિલતા કરી અને એટલે જ મારું હરણ થઇ ગયું. તો રામ, તમે શું કર્યું? વિભિષણની મદદ વગર તમે રાવણને મારી શક્યાં હોત ખરાં?
મને ખબર છે અયોધ્યાનો રાજકુમાર ન્યાયી છે અને એ અયોધ્યા માટે કશું પણ કરી શકે છે. રઘુકૂળ ભૂષણ, તમે આ યુધ્ધ કર્યું એ તો અયોધ્યાની મહારાણી માટે, તમે વાનર સેના લઇને આવ્યા, તમે સમુદ્ર કિનારે પડાવ નાંખ્યો. શંકા તો તમને ત્યારની આવી હતી. મેં રાવણની વાત માની છે  નહીં, એ જાણવા એટલે જ તો તમે હનુમાનને મોકલ્યા. જોઇ-ચકાસી અને વિચારીને તમે યુધ્ધ શરૂ કર્યું. હું તો રાહ જોતી હતી કે મારો પતિ આવે અને રાવણને પાઠ ભણાવે. સેતુબંધ પરથી આવ્યો એ તો અયોધ્યાનો રાજકુમાર હતો, જે અયોધ્યાની મહારાણીને લેવા આવ્યો. દિલ પર હાથ રાખીને કહેજો કે, ‘મારા પ્રેમ માટે આવ્યા હતા કે તમારા અભિમાન માટે?’ લોકો કહે છે કે રાવણ જેવું અભિમાન કોઇનું નહોતું. તો તમને પણ કર્તવ્ય નિષ્ઠ રાજવી થવાનું ગુમાન ઓછું હતું? તમે રોજ જીતતાં હતા અને એ રોજ હારતો હતો અને છતાં એ સીતા માટે મક્કમ હતો.
મારા રામ, તમારા રહસ્યોને તો હું જ જાણું છું. ક્ષત્રિય વટનાં નામે શિકાર કરવા તમે ગયાં અને સુવર્ણ મૃગનું આળ મારા પર ચઢાવ્યું. ચૌદ વર્ષ હું વનવાસમાં રહી અને મને એક મૃગ ચર્મનું ઓછું પડ્યું? જન્મી ત્યારથી દોમ-દોમ સાહ્યબી જોઇ છે. સુવર્ણ અલંકારોને એક ક્ષણમાં છોડી દેનારી સીતાને મૃગ ચર્મનો મોહ ન હોય રામ..! પત્નીને ભાઇનાં ભરોસે છોડી દઇને તમે નીકળ્યાં હતાં. હું તો તમારી રાહ જોઇ રહી હતી..!
તમારા પિતાએ એની ત્રીજી રાણીને આપેલા વચન માટે થઇને તમે મને મહેલમાંથી જંગલમાં લાવ્યા અને આ સળગી રહ્યો છે એ રાવણ મને જંગલમાંથી મહેલમાં લઇ ગયો. એનાં સોનાનાં મહેલો-એની સોનાની લંકા મને ચળાવી ન શકી અને તમે કહો છો કે સીતા સુવર્ણ મૃગ માટે હઠ કરતી હતી? આ ચિતા મને બાળી નહીં શકે, માત્ર એટલા માટે નહીં કે હું સતી છું, પણ એટલા માટે કે હું સાચી છું.
મારા રામ, રાવણ જીત્યો હોત તો મારે અગ્નિ પરીક્ષા નહીં આપવી પડત. આ ચિતા મને બાળી નહીં શકે. હું અગ્નિમાંથી બહાર નીકળીશ એટલે તમને સંતોષ થશે. તમે મને સતી કહેશો. પણ, રામ મેં સતીત્વની પરીક્ષા તો આપી દીધી, હવે તમે પતિત્વની પરીક્ષા ક્યારે આપશો?
જનોઇ વઢ :
તમથીયે પહેલા અશોક વનમાં, સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તોયે, દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ, અમથો વિજય નો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો..! (એક ગુજરાતી ભજન)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો